24 દિવસથી મહિલાઓ ધરણા પર... પણ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને ફક્ત કાર્યક્રમો અને ફોટોગ્રાફીમાં જ રસ?
July 30, 2026
0
ગાંધીધામ મહાનગરપાલિકા બહાર છેલ્લા 24 દિવસથી મહિલાઓ, વૃદ્ધો અને પરિવારો પોતાના આવાસના હક માટે ધરણા પર બેઠા છે. ધરણાકારીઓનો આક્ષેપ છે કે તેઓને ઘર વિના કરવામાં આવ્યા બાદ હજુ સુધી પુનર્વસન કે રહેઠાણ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. સતત ન્યાયની માંગ છતાં જવાબદાર તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તરફથી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી.ધરણાનું નેતૃત્વ કરી રહેલા લખનભાઈ ધૂવા સહિતના આગેવાનોનો આરોપ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જનતાના દરવાજે પહોંચી મોટા મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ આજે એ જ જનતા મુશ્કેલીમાં હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ( ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી)નજરે પણ પડતા નથી.ધરણાકારીઓએ ખાસ કરીને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે છેલ્લા 24 દિવસથી મહિલાઓ ખુલ્લા આકાશ નીચે ન્યાય માટે બેસી છે, છતાં ધારાસભ્યે તેમની મુલાકાત લેવાની કે પ્રશ્નના ઉકેલ માટે કોઈ જાહેર પ્રયાસ કર્યો નથી. તેમના જણાવ્યા મુજબ જાહેર કાર્યક્રમોમાં હાજરી, ફોટોગ્રાફી અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાને બદલે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ ચૂંટાયેલા પ્રતિનિધિની પ્રથમ ફરજ છે.ધરણાકારીઓએ માંગ કરી છે કે આવાસ વિહોણા પરિવારોને તાત્કાલિક ન્યાય આપવામાં આવે, યોગ્ય પુનર્વસન કરવામાં આવે અને સ્થાનિક ધારાસભ્ય સહિત જવાબદાર તંત્ર સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત પરિવારોની રજૂઆત સાંભળે.
Share to other apps

