મોટી ચીરઈમાં માટી ખનનના આક્ષેપો વચ્ચે મામલતદારની ટીમની સ્થળ તપાસ, પંચનામું કરાયું
August 07, 2026
0
મોટી ચીરઈમાં માટી ખનન અંગે ગંભીર આક્ષેપો, મામલતદારની ટીમે સ્થળ તપાસ કરી પંચનામું કર્યું,ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામે સર્વે નં. 3ની આશરે 15 એકર જમીનમાં પાલાઈ કંપનીના બાંધકામ માટે લાખો ટન માટી રોયલ્ટી ભર્યા વગર ખોદી કાઢવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જમીનમાં ઊંડા ખાડા કરી મોટી માત્રામાં માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ છે.આ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા ભચાઉ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ખાણ-ખનીજ વિભાગ, કચ્છ જિલ્લા ખનીજ સ્ક્વોડ તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર માપણી કરી કથિત ખનીજ ચોરીની તપાસ કરવામાં આવે અને સરકારના નિયમો મુજબ રોયલ્ટીની રકમ વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે માટી પુરાણના કારણે રાજમાર્ગ તેમજ પાણીના કુદરતી વહેણને પણ અસર થઈ હોવાની સ્થિતિ ઊભી થઈ છે.રજૂઆતને પગલે ભચાઉ મામલતદાર અને તેમની ટીમે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ તપાસ હાથ ધરી પંચનામું કર્યું હોવાનું જાણવા મળે છે. હવે ખાણ-ખનીજ વિભાગ દ્વારા માટીની માત્રા, રોયલ્ટી અને જમીનની માપણી અંગે નિયમસર તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.સાથે જ સંબંધિત વ્યક્તિ દ્વારા અન્ય સ્થળોએ પણ સરકારી પડતર જમીન પર દબાણ કરાયું હોવાના આક્ષેપો અંગે લેન્ડ ગ્રેબિંગ સહિતની ફરિયાદોની યોગ્ય તપાસ કરી, જો ગેરરીતિ જણાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે.હવે જોવાનું એ રહ્યું કે સ્થળ તપાસ બાદ ખાણ-ખનીજ અને મહેસૂલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.
Share to other apps

