રાપર ન્યાયાલય ખાતે ૧૪ માર્ચે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
March 11, 2026
0
રાપર ન્યાયાલય ખાતે આગામી તા. ૧૪/૦૩/૨૦૨૬, શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભુજ-કચ્છના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભુજ-કચ્છના ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી.પી. મહિડા સાહેબની સૂચના અનુસાર રાપર ન્યાયાલય ખાતે યોજાનાર આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસો સમાધાન માટે મુકાઈ શકશે. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ના કેસો, લગ્ન સંબંધિત ફેમિલી કેસો, ભરણપોષણ કેસો, દિવાની દાવાઓ જેમ કે ભાડા અને બેંક સંબંધિત કેસો તેમજ વાહન અકસ્માત કેસોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત દિવાની તામિલ અરજીઓ અને પ્રિલિટીગેશન કેસોમાં પણ લોક અદાલત દ્વારા ઝડપી અને સંતોષકારક રીતે વિવાદોનું સમાધાન કરવામાં આવશે.જે પક્ષકારો તેમના કેસો લોક અદાલત મારફતે સમાધાન કરવા ઈચ્છતા હોય તેઓએ તાલુકા કાનુની સેવા સમિતિ રાપર-કચ્છના ન્યાયાલયના આસી. શ્રી એન.જે. રબારીનો સંપર્ક સાધવા માટે જણાવવામાં આવ્યું છે. આ માહિતી તાલુકા કાનુની સેવા સમિતિ રાપરના ચેરમેન શ્રી એ.એમ. પાટડીયા સાહેબ દ્વારા આપવામાં આવી છે.
Share to other apps

