કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ભરુડીયા વિસ્તારમાં ફરી એકવાર ખનિજ ચોરીના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. સ્થાનિક સૂત્રો મુજબ વિસ્તારમાં લાંબા સમયથી બેફામ રીતે ખનિજ ચોરી ચાલી રહી છે અને આ ચોરી ખુલ્લેઆમ થતી હોવાની ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે. થોડા સમય પહેલા વહીવટી તંત્રની ટીમ કાર્યવાહી કરવા માટે સ્થળ પર પહોંચી હતી, પરંતુ ત્યાંથી કોઈ જવાબદાર વ્યક્તિ બહાર ન આવતા સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે.આ વચ્ચે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજકીય હલચલ પણ તેજ બની છે.
અમારા પ્રતિનિધિને મળતી માહિતી મુજબ ઉપેન્દ્રસિંહ તાલુકા પંચાયતની ટિકિટ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. જોકે વિસ્તારમાં ચર્ચા છે કે ખનિજ ચોરીના આક્ષેપો વચ્ચે તેઓને ટિકિટ મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે?સ્થાનિક લોકોમાં એ પણ ચર્ચા છે કે ઉપેન્દ્રસિંહ પાછળ કયા પ્રભાવશાળી લોકોનો હાથ છે ! જેના કારણે ખનિજ ચોરી પર અત્યાર સુધી કડક કાર્યવાહી થતી નથી. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ખનિજ ચોરીને કોઈ છૂટછાટ આપવામાં આવી રહી છે?ભારતીય જનતા પાર્ટી આવા આરોપો વચ્ચે ઉપેન્દ્રસિંહને ટિકિટ આપશે કે નહીં તે મુદ્દે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
જો આવા વિવાદિત વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો વિસ્તારમાં સરકારી સંપત્તિ અને જમીનોને વધુ નુકસાન થવાની ભીતિ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે.આ મામલે જિલ્લાના રાજકીય નેતૃત્વ તરફ પણ લોકોની નજર છે. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા આ મુદ્દે શું સંદેશ આપશે અને ખનિજ ચોરી પર કડક કાર્યવાહી થશે કે નહીં તે અંગે લોકોમાં ઉત્સુકતા છે.સ્થાનિકોનો પ્રશ્ન છે કે જ્યારે સમગ્ર વિસ્તારમાં ખનિજ ચોરી અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને તંત્રને પણ તેની માહિતી હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે હજુ સુધી તવાઈ માટે સ્પષ્ટ આદેશ કેમ આપવામાં આવ્યા નથી? હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર અને રાજકીય નેતૃત્વ આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે.