ધોરણ ૧ થી ૯ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છતા, ડિજિટલ ટેકનોલોજી અને આધુનિક વૈજ્ઞાનિક શોધો પર આધારિત વિવિધ મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ દ્વારા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે સમાજલક્ષી સંદેશ પણ આપ્યો હતો, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ બિરદાવ્યા હતા.કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન બી.આર.સી. મહુલભાઈ દવે, સી.આર.સી. સુનિલભાઈ સુતરીયા તેમજ સલારી સાંદીપની વિદ્યામંદિરના પ્રિન્સિપાલ એમ.ડી. ઝાલેરા દ્વારા રીબન કાપીને કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ દરેક સ્ટોલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓના પ્રયોગો અંગે માહિતી મેળવી અને તેમની જિજ્ઞાસા તથા સર્જનાત્મકતાને વખાણી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓનું મૂલ્યાંકન શૈલેષકુમાર પ્રજાપતિ અને ભગવાનભાઈ દ્વારા નિષ્પક્ષ રીતે કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન નિહાળવા માટે વાલીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર જયા રાનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ પરિવારે નોંધપાત્ર મહેનત ઉઠાવી હતી.

