સામખિયાળી પંથકમાં ભાજપમાં ‘આયાતી’ વિરુદ્ધ અસંતોષ ઉગ્ર, ટિકિટ વિતરણને લઈને આંતરિક ગૂંચવણ તેજ
April 01, 2026
0
ભચાઉ તાલુકાના કાઠા વિસ્તાર સહિત સામખિયાળી પંથકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉમેદવારી માટેની ચર્ચાઓ ચોરા-ચોવટે જોર પકડતી જાય છે, ત્યારે એક જ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે—મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ‘આયાતી’ નેતાઓને ટિકિટ મળવાની સંભાવના અને તેના વિરોધમાં ઊભરતો અસંતોષ.સ્થાનિક સૂત્રો અનુસાર, સામખિયાળી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો પર વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા મૂળ ભાજપ કાર્યકરોને અવગણીને નવા આવેલા નેતાઓને પ્રાધાન્ય મળતું હોય તેવો માહોલ સર્જાયો છે.
જેના કારણે જૂના કાર્યકરોમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે.ખાસ કરીને સામખિયાળી એક અને બે બેઠક પર એવા ઉમેદવારોના નામ ચર્ચામાં છે, જેઓ પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને હાલમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. આ ‘આયાતી’ નેતાઓ સામે મૂળ ભાજપીઓમાં અસંતોષ એટલો વધી રહ્યો છે કે કેટલાક કાર્યકરો માટે વર્ષોથી વિરોધ કરેલા વ્યક્તિ માટે મત માંગવો પણ મુશ્કેલ બની રહ્યો છે.ચર્ચા મુજબ, એક પ્રબળ દાવેદાર જાહેરમાં પોતાને ભાજપની ટિકિટ મળવાની ખાતરી બતાવી રહ્યા છે, જે વાતો સ્થાનિક કાર્યકરોને અપમાનજનક લાગી રહી છે. ભાજપના જ કેટલાક નેતાઓ પણ અંદરખાને કોંગ્રેસ સાથે સંપર્કમાં રહી આવા ઉમેદવારોને હરાવવા માટે જોડતોડ કરતા હોવાના સંકેતો મળી રહ્યા છે.રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્યક્તિની છબી, વિશ્વસનીયતા અને પ્રજાલક્ષી કામગીરી વધુ મહત્વ ધરાવે છે. માત્ર પક્ષપલટો કરીને ટિકિટ મેળવવાની આશા રાખનારા ઉમેદવારોને મતદારો કેટલી હદે સ્વીકારશે, તે જોવાનું રહેશે.હવે નજર એ બાબત પર છે કે સામખિયાળી પંથકમાં ભાજપ આ આંતરિક અસંતોષને કેવી રીતે સંભાળે છે અને અંતે ટિકિટ વિતરણમાં કોને પ્રાધાન્ય આપે છે.
Share to other apps

