ભચાઉ ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર ઊભા થયા ગંભીર સવાલો, સ્થાનિકોમાં ઉગ્ર રોષ – પોલીસની કામગીરી સામે આક્ષેપોની ઝડી
April 02, 2026
0
ભચાઉ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂના ગેરકાયદેસર વેચાણ, ડ્રગ્સનો વેપાર, ચોરી, લૂંટફાટ, મારામારી તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક વર્ગોમાંથી મળતી માહિતી મુજબ, ભચાઉ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભટ્ટ સામે પણ અનેક આક્ષેપો સામે આવી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે કેટલીક ગંભીર ફરિયાદોમાં પણ યોગ્ય રીતે FIR નોંધવામાં આવતી નથી અને ફરિયાદીઓને ડરાવવાનો અથવા દબાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ પરિસ્થિતિને કારણે પીડિતોને ન્યાય મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન જ ચોરીના બનાવો બનતા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધુ જોરશોરથી ચાલતી હોવાની ચર્ચા છે. દારૂનું બેફામ વેચાણ, ગાંજાના વેપાર અને બે નંબરના ધંધાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આરોપો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.તાજેતરમાં બનેલી મારામારી અને હુમલાના બનાવોએ પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની હાલત અંગે વધુ પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે ગુનેગારોમાં કાયદાનો ડર ઘટી રહ્યો છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે.નાગરિકોનો આક્ષેપ છે કે કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો સામાન્ય લોકોને ત્રાસ આપી રહ્યા છે,
મારપીટ કરી રહ્યા છે, છતાં અસરકારક પોલીસ કાર્યવાહી જોવા મળતી નથી. જેના કારણે સામાન્ય જનતામાં અસંતોષ અને રોષનો માહોલ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છેઆ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને યુવાનોમાં એક જ માંગ ઉઠી રહી છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે. તેમજ જો કોઈ પોલીસ કર્મચારી કે અન્ય વ્યક્તિ જવાબદાર જણાય તો તેની સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે.નાગરિકોનું માનવું છે કે જો સમયસર અને દ્રઢ પગલાં લેવામાં નહીં આવે તો ભચાઉ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડવાની શક્યતા છે. તેથી તાત્કાલિક પગલાં લઈ કાયદો અને વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવે અને સામાન્ય જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં આવે તે સમયની માંગ બની છે.
Share to other apps

