કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે આદિજાતિ અનામત મુદ્દે વિવાદ તેજભીલ સમાજે ખોટા જાતિ પ્રમાણપત્રોના આક્ષેપ સાથે આંદોલનની ચીમકી આપી
April 15, 2026
0
ભુજ: કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે આદિજાતિ અનામત બેઠકોને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આજરોજ ભીલ સમાજના આગેવાનો દ્વારા એકત્ર થઈ રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને ઉગ્ર રજૂઆતો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ભીલ સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અનામત બેઠકો પર બાહ્ય જિલ્લાના, ખાસ કરીને ગીર, બરડા અને આલેચ વિસ્તારના ઉમેદવારો ખોટા જાતિ પ્રમાણપત્રોના આધારે ચૂંટણી લડી રહ્યા છે.
જેના કારણે સ્થાનિક આદિજાતિ સમાજના લાયક ઉમેદવારોના હકો પર અસર પડી રહી છે.સમાજે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેટલાક અન્ય જ્ઞાતિના લોકો આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરી ગેરકાયદેસર રીતે અનામતનો લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અબડાસા, માંડવી, ભુજ, અંજાર અને મુન્દ્રા તાલુકાની અનામત બેઠકો પર શંકાસ્પદ ઉમેદવારોની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.તે ઉપરાંત ભીમાસર-ચકાસર જિલ્લા પંચાયત બેઠક અને સામખિયારી જિલ્લા પંચાયત બેઠક પર બાહ્ય ઉમેદવારોના કાસ્ટ વેલિડિટી સર્ટિફિકેટની તાત્કાલિક તપાસ કરવાની માંગ પણ ઉઠી છે.ભીલ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ભીલ આદિજાતિની વસ્તી અંદાજે 70 થી 80 હજાર જેટલી હોવા છતાં સ્થાનિક સમાજના લાયક ઉમેદવારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરાય અને કોઈ બિન-હકદાર વ્યક્તિ અનામત બેઠક પરથી ચૂંટાઈ આવશે, તો સમગ્ર કચ્છમાં ગાંધીચિંધ્યા માર્ગે જનઆંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.આ મામલે રાજ્ય ચૂંટણી આયોગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત ટ્રાયબલ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા જાતિ ચકાસણી સમિતિને પણ આવેદનની નકલો મોકલી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
Tags
Share to other apps

